ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજરોજ ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રીશ્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં તેમજ રાજ્યના માન.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ હેઠળના બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર, BS-4 નો ભૂમિપૂજન સમારોહ યોજાયો.
શ્રી અમિતભાઈ શાહે સંબોધન કરતા જણાવ્યું કે, આજે ગુજરાતની ધરતી ઉપર ભારતની સ્વાસ્થ્ય સુરક્ષા, બાયોસેફ્ટી તેમજ બાયોક્ષેત્રના નવા યુગની શરૂઆત થઈ રહી છે. ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં BSL-4 ના શિલાન્યાસથી આવનાર દિવસોમાં સમગ્ર ભારત માટે સ્વાસ્થ્ય ક્ષેત્રનું સુરક્ષા કવચ તરીકે પ્રસ્થાપિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું માનવું છે કે, સાયન્સ એન્ડ ટેક્નોલોજી માત્ર RND સુધી સિમિત ન રહેવી જોઈએ બલ્કે રાષ્ટ્રના સમગ્ર વિકાસનો એક આધાર સ્તંભ હોવો જોઈએ અને તે દિશામાં આજે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વિજ્ઞાનના વિધાર્થીઓ, વૈજ્ઞાનિકો તેમજ રિસર્ચ સાથે જોડાયેલા તમામ લોકો ભારતના વિકાસ અને સ્વાસ્થ્ય બંનેને નિશ્ચિત રૂપથી સુનિશ્ચિત કરશે તેવો સમગ્ર ગુજરાત અને દેશને વિશ્વાસ છે. પુણેની વાયરોલોજી ઇન્સ્ટિટ્યૂટ બાદ દેશની બીજા નંબરની ઉચ્ચસ્તરીય લેબ હશે. પરંતુ, રાજ્ય સરકારે બનાવેલી પ્રથમ લેબનો શ્રેય ગુજરાતને જાય છે. વિશાળ સંકુલની અંદર આશરે રૂ.૩૬૨ કરોડના ખર્ચે અને ૧૧ હજાર વર્ગ મીટરમાં દેશની સુરક્ષાનો મજબૂત કિલ્લો બનવા જઈ રહ્યો છે. દુનિયામાં જ્યાં રિસર્ચની જરૂર છે ત્યાં ઘણા વર્ષો સુધી ક્યાંકને ક્યાંક ભારત પાછળ હતું. પરંતુ, સુવિધાના કારણે આ ક્ષેત્રમાં કાર્ય કરનારા યુવાનોને નવો મોકો પણ મળશે અને ભારત વિજ્ઞાન ક્ષેત્રમાં ખૂબ આગળ નીકળશે તેવો વિશ્વાસ શ્રી શાહે વ્યક્ત કર્યો હતો.
શ્રી શાહે વધુમાં જણાવ્યું કે, BSL-4 ઉપર સારામાં સારો અભ્યાસ કરીને તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે. માત્ર માનવો માટે જ નહીં બલ્કે પશુઓથી માનવીઓ સુધી પહોંચતા રોગોનું પણ અધ્યયન કરવાની વિશ્વ કક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. એક અધ્યયન છે કે, ૬૦ થી ૭૦ ટકા નવી બીમારીઓ પશુથી માનવી સુધી પહોંચે છે. તેના માટે, ભારત સરકારે “વન હેલ્થ મિશન”થી માનવ અને પશુ બંનેની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. દેશના વૈજ્ઞાનિકોને ખતરનાક વાયરસનાં સેમ્પલ તપાસવા માટે વિદેશ ઉપર નિર્ભર નહીં રહેવું પડે. આથી સ્વાભાવિક પણે વિદેશ પર નિર્ભર નહીં રહીએ તો, તપાસ ઝડપથી થશે અને દેશ આત્મનિર્ભર પણ બનશે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ અને લંપી સ્કિન વાયરસને સૌએ જોયો છે. આ બીમારીઓએ ચેતવણી આપી છે કે, BSL- 3 થી પણ ઉચ્ચસ્તરીય સુવિધાઓની જરૂર છે. શ્રી શાહે BSL-4 લેબ તમામ સુવિધાઓને સંપૂર્ણ પરિપૂર્ણ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
શ્રી શાહે વધુમાં જણાવ્યું કે, BSL- 4 કામચલાઉ સુરક્ષાનું લક્ષ્ય નથી એક પ્રકારે રિસર્ચ બેઝ્ડ આજીવન સુરક્ષા છે. ગત ૧૧ વર્ષમાં બાયોટેકનોલોજી ક્ષેત્રમાં અભૂતપૂર્વ વિકાસ અને સફળતા મળી છે. ૨૦૧૪માં ભારતની બાયોઇકોનોમી ૧૦ મિલિયન ડોલર હતી જ્યારે ૨૦૨૪ના ફાઇનાન્સ વર્ષ સમાપ્ત થતાંની સાથે જ ૧૬૬ બિલિયન ડોલર થઈ છે. આ વિકાસ દર્શાવે છે કે, ભારતના યુવાનો અને ઉદ્યોગપતિ પણ કરી શકે છે પરંતુ જરૂર માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શાસનના સમર્થનની છે. ૨૦૧૪માં બાયો સ્ટાર્ટઅપની સંખ્યા ૫૦૦થી પણ ઓછી હતી જ્યારે, અત્યારે આ સંખ્યા ૧૦ હજાર પાર કરી ચૂકી છે. બાયો ઇન્ક્યુમેટર્સ વર્ષ ૨૦૦૦ માં ૬ હતા જ્યારે, વર્ષ ૨૦૨૫માં ૫૫ પહોંચી ચૂક્યા છે. ઇન્ક્યુંબેશન સ્પેસ પહેલા ૬૦ હજાર વર્ગફુટ હતી જે વધીને ૯ લાખ સ્ક્વેર ફુટ થઈ છે. કોઈપણ ક્ષેત્રનું ભવિષ્ય, દેશની ક્ષમતા અને યુવાનોની રુચિ જોવા માટે પેટન્ટ ફાઇલ તેનું થર્મોમીટર છે. ૨૦૧૪માં ૧૨૫ જ પેટન્ટ ફાઇલ થયા હતા અને ૨૦૨૫માં ૧૨૫ થી વધીને ૧૩૦૦ સુધી પહોંચ્યા છીએ તે દર્શાવે છે કે ભારત કંઈપણ કરી શકે છે. પ્રાઇવેટ ફંડ માત્ર ૧૦ કરોડનું હતું જ્યારે આજે તે વધીને ૭ હજાર કરોડ પહોંચ્યું છે. શ્રી શાહે યુવાનોને હિંમત સાથે આગળ વધવા તેમજ ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ભારત દેશનો યુવા જોબ સીકર નહીં જોબ ક્રિએટર છે. ભારત દુનિયાનો સૌથી વધારે વેક્સિન નિર્માતા દેશ છે. વિશ્વની ૬૦ ટકા વેક્સિન ભારતમાં બની છે. સર્વાઇકલ કેન્સરની પ્રથમ સ્વદેશી વેક્સિન “સર્વાવેક” અને વિશ્વની પ્રથમ DNA આધારિત વેક્સિન કોરોના માટે ભારતમાં બની. ભારતને તમામ ક્ષેત્રમાં વધારે આગળ વધવાનું છે તેમ શ્રી શાહે ઉમેર્યું હતું.
શ્રી શાહે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૩માં ભારત સરકારે બાયો E3 નીતિ લાગુ કરીને બાયોટેકનોલોજી ને આગળ વધારવા નો નિર્ણય લીધો. E3 એ Economy, environment અને employment આ ત્રણને જોડીને બનાવવામાં આવ્યું છે. આ પોલિસી દેશને ખૂબ આગળ લઈ જશે તેવો વિશ્વાસ શ્રી શાહે વ્યક્ત કર્યો હતો. બે દશક પહેલા ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન (GSBTM)ની સ્થાપના દેશના આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજી ની પરિકલ્પનાથી થઈ હતી. ત્યારે લોકોને લાગતું હતું કે આ એક સ્વપ્ન છે. પરંતુ, દૂરદર્શિતા સાથે મોદીજીએ એશિયાની પહેલી બાયોટેક યુનિવર્સિટી પ્રસ્થાપિત કરી. આજના વિધાર્થીઓ ભવિષ્યમાં સફળ વૈજ્ઞાનિક બની ભારતને વિશ્વમાં સર્વશ્રેષ્ઠ સાબિત કરશે. ગુજરાત આજે દેશના સર્વશ્રેષ્ઠ ૫ રાજ્યોમાંનું એક રાજ્ય છે. પરંતુ જ્યારે આ BSL-4 બનશે ત્યારે સૌથી સર્વશ્રેષ્ઠ ગુજરાત સાબિત થશે. કોરોનાની મહામારીએ સમગ્ર વિશ્વને ઝંઝોળી નાખ્યું હતું. વિશ્વના સ્વાસ્થ્ય ક્ષેત્રના પંડિતો ભારતની ચિંતા કરતા હતા પરંતુ, જ્યારે કોરોના સમાપ્ત થયો અને કોરોના સામે સૌથી વધારે કોઈએ સ્પર્ધા જીતી હોય તો એ માત્ર ભારત છે. ભારતની ૧૪૦ કરોડની જનતાને ૨ વાર ડોઝ આપવામાં આવ્યા અને તરતજ સર્ટિ આપવામાં આવ્યા. ભારતે એક મિશન સાથે સફળતાથી સુરક્ષિત રીતે કોરોનાને માત આપી. ભારતે સૌથી પહેલા વેક્સિન બનાવી, લગાવી અને વિશ્વના ઘણા દેશોને પણ સુરક્ષિત બહાર લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. BSL-4 ની સુવિધા હજુ પણ સાયન્સ ક્ષેત્રમાં દેશને આગળ ધપાવશે. ભારતે ૧૧ વર્ષમાં સૌને બતાવી દીધું છે કે, વિકાસ, વિજ્ઞાન અને વિરાસત દેશની જનતાની જરૂરિયાત છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ હમણાં જ સોમનાથ સ્વાભિવાન પર્વની ઉજવણી કરી અને સ્વાભિમાન વર્ષની શરૂઆત કરાવી. સોમનાથનું ભવ્ય મંદિર એક જ્યોતિર્લિંગ જ નહીં બલ્કે સમગ્ર ભારતીયોનું ગૌરવનું માનબિંદુ છે. સોમનાથનું શિવાલય સનાતન નું સન્માન છે અને ભારતની જનતાની જીવંતતા અને જીજીવિશા નું પ્રતીક છે. પ્રધાનમંત્રીશ્રીએ સાબિત કર્યું છે કે, વિજ્ઞાન – વિરાસત અને વિકાસ – વિરાસત બંને ઓપ્શન નથી બંને જરૂરી છે તેમ શ્રી શાહે જણાવ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દેશને સંભવિત મહામારીઓ સામે વધુ સુરક્ષિત બનાવતો આ પ્રકલ્પ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હેલ્થ કેર અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટનો મહત્વપૂર્ણ પ્રકલ્પ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રી સમય કરતા આગળનું વિચારનારા વિઝનરી લીડર છે તેમના આવા જ વિઝનથી ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર જી.બી.આર.સી. કાર્યરત કરીને વાયરલ જન્ય રોગચાળા, જેનેટિક સંક્રમણો અને મહામારી જેવા ગંભીર આરોગ્ય સેક્ટરના નિદાન સંશોધન માટે બહારની સંસ્થાઓ પર નિર્ભર રહેવું ન પડે તેવો આત્મનિર્ભરતાનો ધ્યેય પાર પાડ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ BSL-4 લેબ કાર્યરત થવાથી હાઈ રીસ્ક વાઈરસ પર રાજ્યમાં સંશોધન શક્ય બનાવાથી સમયસર, ચોક્કસ અને વિશ્વસનીય નિદાન ઉપલબ્ધ થશે તેમજ આરોગ્ય તંત્ર વધુ સશક્ત અને સજ્જ બને તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ જી.બી.આર.સી. માત્ર સંશોધન સંસ્થાન જ નહીં પરંતુ રાજ્યની બાયોટેક કેપેસિટીનું નોડલ સેન્ટર પણ છે તેની ભૂમિકા આપતા કહ્યું કે, BSL-4 લેબમાં જે સંશોધન થશે તે સીધું નિદાન, સારવાર અને જાહેર સ્વાસ્થ્યની નીતિઓમાં પરિવર્તિત થનારું ટ્રાન્સલેશન રિસર્ચ બનશે. તેમણે વિકસિત ભારત @ 2047ના વડાપ્રધાનશ્રીના સંકલ્પને સ્વસ્થ, સુરક્ષિત અને આત્મનિર્ભર ભારતથી સાકાર કરવામાં આ BSL-4 ફેસીલીટી માઈલસ્ટોન સાબિત થશે તેમ જણાવ્યુ હતુ.
આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, સાંસદશ્રી હસમુખભાઇ પટેલ, રાજ્યસભાના સાંસદશ્રી મયંકભાઇ નાયક, સાંસદશ્રી હરિભાઈ પટેલ, ભારત સરકારના સચિવશ્રી ડૉ.રાજેશભાઇ ગોખલે, ગુજરાત સરકારના સચિવ શ્રીમતી પી.ભારતી, ગાંધીનગર મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ધારાસભ્યશ્રીઓ શ્રી અલ્પેશજી ઠાકોર, શ્રીમતી રીટાબેન પટેલ, ગાંધીનગર શહેર અધ્યક્ષશ્રી આશિષભાઈ દવે સહિત ઔધ્યોગિક તેમજ RNB સાથે જોડાયેલા તમામ સાથીગણ તેમજ વિજ્ઞાન અને ટેક્નોલોજી સાથે જોડાયેલા વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
