ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, દેશના ૭૭મા પ્રજાસત્તાક પર્વના પાવન અવસરે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા, ગાંધીનગર ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને ધ્વજવંદન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રીશ્રીઓ, પ્રદેશ પદાધિકારીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સિનિયર આગેવાનો, અગ્રણીઓ સહિત વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યાં હતાં.

સૌ નાગરિકોને દેશના ૭૭મા પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ભારત આજે “વિકસિત ભારત”ની દિશામાં દ્રઢપણે આગળ વધી રહ્યું છે. દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર વીર સપૂતોનું સ્વતંત્ર, સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારતનું જે સ્વપ્ન હતું તે આજે સાચા અર્થમાં સાકાર થતું જોવા મળી રહ્યું છે. સમગ્ર વિશ્વ આજે ભારતની વિકાસયાત્રાને સન્માન અને ગૌરવની નજરે જોઈ રહ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જોયેલું “વિકસિત ભારત–૨૦૪૭”નું સ્વપ્ન આજે દેશના ૧૪૦ કરોડ નાગરિકોના સામૂહિક પ્રયાસોથી સાકાર થવાની દિશામાં આગળ વધી રહ્યું છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના દીર્ઘદ્રષ્ટા નેતૃત્વમાં ભારતે વૈશ્વિક સ્તરે નવી ઓળખ ઉભી કરી છે. શ્રી મોદીજીએ ગુજરાતના વિકાસની કંડારેલી વિકાસની કેડી પર આજે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના સર્વાંગી વિકાસ માટે સંપૂર્ણ નિષ્ઠા સાથે કાર્ય કરી રહ્યા છે.
તેમણે ઉમેર્યું હતું કે, ગામડાં, ગરીબ, આદિવાસી, ખેડૂત, વંચિત વર્ગ, મહિલાઓ અને યુવાનો તમામ માટે સરકારની યોજનાઓ થકી સર્વસમાવેશી વિકાસ સુનિશ્ચિત થયો છે. યુવાનો માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મહિલાઓ માટે લખપતિ દીદી યોજના, ખેડૂતો માટે કલ્યાણકારી યોજનાઓ તથા ડિફેન્સ ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની દિશામાં ભારતે ઐતિહાસિક પ્રગતિ કરી છે. આજે કાશ્મીરના લાલ ચોક પર ગૌરવપૂર્વક તિરંગો લહેરાય છે અને આર્ટિકલ ૩૭૦ હટાવવાનો ઐતિહાસિક નિર્ણય દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના દ્રઢ નેતૃત્વનું પરિણામ છે. અંતમાં તેમણે જણાવ્યું હતું કે, આઝાદ ભારતના સ્વપ્નને સાકાર કરવામાં ૧૪૦ કરોડ ભારતીયોનો સહયોગ પ્રધાનમંત્રીશ્રી મોદીજીને મળી રહ્યો છે અને આ દિશામાં ભારત સતત આગળ વધી રહ્યું છે.
